ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,

ધરતી ગાજે, કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,

જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે,

મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે.

જીય મરદ કસુંબલ રંગ ચડે–

રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે,

ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,

જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે,

મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે–

જીય મરદ કસુંબલ રંગ ચડે–

ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“ ( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માંથી……….

તાલની જાતી : તાલની જાતી પાંચ છે.

૧) તિસ્ત્ર જાતી : તિસ્ત્ર જાતીનાં તાલમાં દરેક ખંડમાં ત્રણ ત્રણ માત્રાઓ હોય છે. જેમ કે દાદરો     માત્રા – ૬.
૨) ચતુસ્ત્ર જાતી : ચતુસ્ત્ર જાતીનાં તાલના દરેક ખંડમાં ચાર ચાર માત્રા હોય છે.
૩) મિશ્ર જાતી : મિશ્ર જાતીનાં તાલોમાં ૭ માત્રા હોય છે. તાલનાં પહેલાં ખંડમાં ત્રણ, બીજા ખંડમાં ચાર માત્રા હોય છે. જેમ કે દીપચંદી માત્રા – ૧૪.
૪) ખંડ જાતી : ખંડ જાતીનાં તાલો ૫ માત્રાની હોય છે. તેમનાં પ્રથમ ખંડમાં ૨ માત્રા હોય છે. જેમકે ઝપતાલ.
૫) સંકીર્ણજાતી : સંકીર્ણજાતીનાં તાલોમાં ૯ માત્રા હોય છે. જેમાં પ્રથમ ખંડ પાંચ માત્રા અથવા ૯ માત્રાનો ખંડ આવે છે.

ઠેકા: તબલાં પર વગાડવામાં આવતાં ધા, ધીં, તા વગેરે તાલનાં બોલને ઠેકા કહે છે.

દુગન : લયને કાયમ રાખીને તેનાથી બમણી લયમાં ગાંવુ કે વાગાડવાની ક્રિયાને દુગન કહે છે.

ગાનનાં દોષ : બ્રહ્મર્ષિ નારદમુનિએ ગાનમાં આ પ્રમાણેનાં દોષ જણાવ્યાં છે :

૧) કંપિત અથવા ગાતી વખતે સ્વર હલતો રહે.
૨) ભય અથવા કોઈની ભીતીથી ગાવુ.
૩) ઉદ્ ઘૃષ્ટ રીતિથી ગાવું.
૪) અવ્યક્ત અથવા વર્ણોચ્ચાર યોગ્ય રીતે ન કરવો.
૫) નાકમાંથી અવાજ કાઢવો.
૬) નાકનાં સ્વરથી ગાવું.
૭) ઘણાં ઊંચા સ્વરેથી ગાવું.
૮) સ્વરને પોતાની જગ્યા નીચે મૂકી ગાવું.
૯) મૂળ સ્વરને મૂકીને બીજા સ્વરો લગાડીને ગાવું.
૧૦) અરસિક ગાવું.
૧૧) શ્રમિત થઈને ગાવું.
૧૨) વિના કારણ સ્વરને ધક્કો દઈને ગાવું.
૧૩) વ્યાકુળ રીતિથી ગાવું.
૧૪) બેતાલ અથવા તાલ વિનાનું ગાવું.

– ઉપરનાં દોષો સિવાય બીજા કેટલાંક દોષો નીચે પ્રમાણે છે.

૧) સંદ્દષ્ટ : રસ વિનાનાં શબ્દોનો ઉચ્ચાર ગાતી વખતે કરવો તેને સંદ્દષ્ટ દોષ કહેવામાં આવે છે.
૨) સૂતકારી : જેનાં ગાયનમાં વારંવાર સત્કાર શબ્દો નીકળે છે, તેને સૂતકારી દોષ કહેવામાં આવે છે.
૩) કરાલી : ગાતી વખતે જેનો ચહેરો ભયાનક દેખાય છે, તેને કરાલી દોષ કહે છે.
૪) કરમ : ગાતી વખતે માથૂં ઝૂકાવીને ખંભાપર કપાળ મૂકીને અથવા ગાલ કે કાન પર હાથ મૂકીને ગાવું એને કરમ દોષ કહેવામાં આવે છે.
૫) ઉદ્દઘટ : ગાતી વખતે બકરાનાં જેવો સ્વર કાઢવો તેને ઉદ્દઘટ દોષ કહેવાય છે.
૬) ભોંળક : ગાતી વખતે ચહેરાની નસો તરી આવે , તેને ભોંળક દોષ કહેવાય છે.
૭) વક્રી : ગાતી વખતે ગળા ને વાંકુ કરવું તેને વક્રી દોષ કહેવાય છે.
૮) પ્રસારી : ગાત્રોને ફુલાવીને ગાવું તેને પ્રસારી દોષ કહેવાય છે.
૯) નિમીલક : ગાતી વખતે આંખો મીંચી દેવી એને નિમીલક દોષ કહેવાય છે.
૧૦) અનવસ્થિત : મૂલાધાર અનાહત અને બ્રહ્મરંધ – એ ત્રણ સ્થાનોનાં બોધ વિનાનું ગાવું એને અનવસ્થિત દોષ કહેવાય છે.
૧૧) નિશ્રક : રાગમાં જે સ્વરો લગાડવા જોઈએ તે ન લગાડાતાં બીજા સ્વરો લગાડવા તેને નિશ્રક દોષ કહેવાય છે.
૧૨) અવધાન :સ્થાયી વગેરે અલંકારને ક્રમથી મૂક્યાં સિવાય ગાવું તેને અવધાન દોષ કહેવાય છે.
૧૩) અંધપરંપરા : સ્વરશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યાં સિવાય બીજા માણસનાં ગળાની નકલ કરીને ગાવું તેને અંધપરંપરા દોષ કહેવાય છે.


વધુ આવતા અંકે……….

મે   એક  છોકરીને  જોય હતી   મજાની,
ખુબજ સુંદર  અને ગુણવાન એ જણાતી,

મને  એને  મેળવવાની  આશા  જાગી,
જાગુ  હું  વિચારોમાં  એના  રાત  આખી,

ફરુ એના ઘર છો તરફ મળશે એમ માની,
પણ  આજ  દિ  સુધી  ના એ હાથ લાગી,

અચાનક આજે આવી મને મળવાને કાજ,
સુતરનાં તાતણાં જેવું બાંધી ગઈ મારે હાથ,

હું ખુશ થયો, કે એ કંઇ પ્રેમની નિશાની આપી ગઈ,
મે હાથ તરફ જોયુ, તો જાણ્યુ એતો રાખડી બાંધી ગઈ,

હતાં ઘણા દિલનાં અરમાનો એને પામવાના પણ એ,
એક સુતરનો તાતણો બાંધી કપિલના સપના તોડી ગઈ.

– કપિલ દવે
તા. ૧૬/૦૮/૨૦૦૮

ગુરૂ બ્રહ્મા,  ગુરૂ  વિષ્ણુ,   ગુરુદેવો    મહેશ્વર,
ગુરૂઃ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ


ગુરૂ  ગોવિંદ  દોનો ખડે,   કીસકો લાગુ પાય,
બલિહારી ગુરૂ આપને, ગોવિંદ દિયો બતાય.


ગુરૂ વિણ જ્ઞાન ન ઉપજે, ગુરૂ વિણ મળે ન ભેદ,
ગુરૂ વિણ સંશય ના ટળે, જય જય જય ગુરૂદેવ.


ગુરૂ કુંભાર ઔર શિષ્ય કુંભ હૈ, ઘટ ઘટ કાઢે ખોટ,
ભીતરથી  ભલે  હાથ પસારે,   ઉપર  મારે  ચોટ

.
સદગુરૂ  એસા   કિજીયે,     જૈસે  પુનમકો  ચંદ્ર,
તેજ કરે પણ તપે નહીં, ઉપજાવે અતિ આનંદ.


સદગુરૂ   મારે   શારડી,      ઉતરે    આરપાર,
ઘાયલ કરે આ પાંજરું અને દેખાડે દશમો દ્વાર.


ગુરૂ શિકારી,   સારથી,   મારે  શબ્દોનાં  બાણ,
ટોંકે  પણ  ટોચે  નહીં,    સમજાવે  સહી  શાન.


ગુરૂ ઘમંડી,  ચેલો  ચાંપલો,   ક્યાંથી  ખાશે  મેળ,
જ્ઞાની ગુરૂ ને ચેલો ચતુર, તો તો ભક્તિ રેલમછેલ.


ગુરૂ કર્યા પણ ઓળખ્યા નહીં, કર્યો નહીં વાદવિવાદ,
કડછો સાથ  કંદોઈ નો,  પણ કોઈ’દિ  ન પામે સ્વાદ.


માટે ગુરૂ  કરો તો ગામ ઉકેલો,  પકડો  ગુરૂના પાય,
જીવતા  જગતને  જીતશો   અને  મુએ  વૈકુંઠ જાય.


ગુરૂ    સાચો    ગારૂડી,       ઉતારે     ભવ     પાર,
ગુરૂ   વગરનો  નુગરો,  એનો   એળેગ્યો   અવતાર.


સાચે   ગુરૂકી   શિખ,    ફુંક   દિલમે  આગ  લગાય,
જીતના   મનકા  મૈલ હો,      ફુંકસે  હી  જલ  જાય.


 

પ્રિય મિત્રો ,

 

ખુશાલી સાથે જણાવાનુ કે ગુજરાતી સમાચાર પત્ર “ગાંધીનગર સમાચાર”માં આવતી ધબકાર કોલમાં મારો બ્લોગ સાજણ તારા સંભારણાને સ્થાન આપવા બદલ હું ધબકાર પરિવારનો આભારી છું.

 

 

વડલો કહે મારી વનરાયું સળગી ને,
છોડી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળાજી,
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી,
કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળાજી,
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી,
મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

-કવિ શ્રી દુલા ભાયા કાગ

આ ગીત સાંભળવા માટે જુવો રણકાર

http://rankaar.com/?p=265

‘પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨);
નાવ માંગી નીર તરવા (૨),
ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને. ૧

’રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી (૨);
તો અમારી રંક-જન ની (૨),
આજીવિકા ટળી જાય, પગ મને. ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી (૨)
’અભણ કેવું યાદ રાખે (૨),
ભણેલ ભૂલી જાય !, પગ મને. ૩

’આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨)
ઊભા રાખી આપને પછી (૨),
પગ પખાળી જાય.’ પગ મને. ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી(૨);
પાર ઊતરી પૂછીયું ‘તમે (૨),
શું લેશો ઉતરાઈ.’ પગ મને. ૫

’નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨);
’કાગ’ લ્યે નહિ ખારવાની (૨),
ખારવો ઉતરાઈ.’ પગ મને. ૬

-કવિ શ્રી દુલા ભાયા કાગ

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે?
બાવળનાં જાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !
વાડામાંવાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે આંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ !લસ ! કરતી જીભ ઝુલાવે.

બહાદુર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડ્ગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે

ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા !તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ-કન્યા !
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઊઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણમેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મુછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

–ઝવેરચંદ મેઘાણી

રંગોળીની કળા પરંપરાગત હોય છે. જે માતા સરસ મનમોહક રંગોળી આલેખે છે તે તેની પુત્રી શીખે છે. આ સંસ્કાર વારસો પેઢી દર પેઢીને મળતો રહે છે. ચિત્રકળાનું જ્ઞાન ન હોય તો તેવી વ્યક્તિ પણ ઉત્તમ પ્રકારની રંગોળી આલેખી શકે છે. વ્યવસ્થિત અને કલાત્મક રંગોળીનાં આલેખન માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
સૌ પ્રથમ ઘર આંગણામાં કે નિશ્વિત જગ્યામાં ગેરુ છાણ કે મટોડીથી ચોકકસ માપનું લીંપણ કરી લેવું ત્યારબાદ કેવા પ્રકારની કેવી આકૃતિની રંગોળી બનાવવાની તે નક્કી કરી લેવું જોઈએ. ચોકકસ માપનાં ચોખઠાં અથવા ડ્રોંઈંગપેપર પર ચોખઠાં બનાવી તેનાં ચારે ખૂણે કાણાં પાડી જમીન ઉપર રાખી તેનાં પર સફેદ ચિરોડીનો છંટકાવ કરી ચોરસનાં ચારે ટપકાંની છાપ ઉપસી આવશે. આકૃતિ દોરાઈ ગયા બાદ રંગોની સૂઝ પ્રમાણે રંગોની પસંદગી કરી ચોકસાઈપૂર્વક કામગરી હાથ ધરવી જોઈએ. રંગ પૂરતી વખતે ક્યાંય ઢગલી કે ક્યાંય ખાડા ન થાય, તેની સપાટી જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આકારો, વળાંકો, ડાબી-જમણી બાજુનાં આકારોની ઊંચાઈ અને પહોળાઈ ખાચા ખૂચીવાળા કે તૂટક ન દોરતાં સુરેખ અને આકર્ષક રીતે સુશોભિત આકારો ધ્યાનથી, કાળજીપૂર્વક, સફાઈદાર, ગતિશીલ દોરવાં તેમજ વચ્ચે એકસરખી જગ્યા રાખવી જોઈએ. એકી વખતે એક સરખો મરોડ આપવો જોઈએ. ભૂમિતિનો વિષય રેખાનાં માપ અને સંભાળપૂર્વક દોરવાથી આકારો અને માપનો સ્પષ્ટ, સાચો ને યોગ્ય ખ્યાલ આવી શકે છે.

ભાતચિત્રમાં માપ પ્રમાણે મધ્યમાં સ્વચ્છ ચિત્ર દોરવું. રેખાઓ સુંદર અને વિષયને અનુરૂપ નૈસર્ગિક કે અલંકારિક આકારો દોરવામાં રંગોની પસંદગી અને સમતુલા જળવવી જોઈએ.

પદાર્થચિત્રમાં ચિત્રનું બરીકાઈથી નિરીક્ષણ કરી આકારોને એકબીજા સાથે સરખાવી લંબાઈ, પહોળાઈ નક્કી કરી, પદાર્થોનાં સમૂહને ધ્યાનમાં લઈ શરૂઆતમાં થોડાં આછા રેખાંકનોથી વસ્તુનાં માપ આકાર અને સ્થાન નક્કી કરવા. રેખાંકન ડાબેથી જમણીબાજુ ઉપરથી નીચે તરફ દોરવા જોઈએ.

ફ્રી હેન્ડ ડ્રોંઈગમાં ચિત્ર નાનું કે મોટું ન દોરાય પરંતુ ચોકઠાંનાં પ્રમાણમાં દોરાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચિત્ર સરખે ભાગે વહેંચાયેલું હોય તો પ્રથમ મધ્યરેખાથી શરૂ કરી ડાબી બાજુથી દોરવું. ચિત્રની મુખ્ય રેખાઓ આઉટ-લાઈન દોરાઈ ગયા પછી બધાં આકારો, વળાંકોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ. ડાબી-જમણી બાજુનાં આકારોની ઊચાઈ અને પહોળાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પ્રકૃતિચિત્રમાં પહેલાં ડાળીની આઉટ લાઈન દોરી અન્ય નસો તથા ફુલની વિગતો બારીકાઈથી કાળજીપૂર્વક દોરવા, રંગપૂરતી વખતે છાયા-પ્રકાશને ધ્યાનમાં લઈ રંગ પૂરવા, જળરંગો વડે ચિત્ર પૂર્ણ કરીને  બાજુની જગ્યામાં સુરેખ અને આકર્ષક રીતે સુશોભિત આકારો બનાવવા. ઝીણી ઝીણી ડીઝાઈનો માટે રંગોનું સંયોજન શ્રમસાધ્ય છે. રંગોળી ભભકાદાર બનાવવા ઉઠાવદાર રંગો વધુ પ્રમાણમાં વાપરવા જોઈએ.
 સ્મૃતિચિત્રોમાં વસ્તુ, વ્યક્તિ કે વિષયનું ઊંડુ અવલોકન જ નહીં પરંતુ તલસ્પર્શી અભ્યાસ પણ ખૂબજ જરૂરી બને છે.
ભૌમિતિક આકૃતિઓ ચોક્કસ માપ લઈ બનાવવી, તેમાં રંગોની પસંદગી યોગ્ય કરવાથી, રંગોળી કલાત્મકરીતે દીપી ઊઠશે. રંગોળીમાં જો કાળો રંગ પૂરવાનો આવતો હોય તો તે સૌ પ્રથમ પહેલાં ચમચા વડે પૂરી લેવો જોઈએ, ત્યારબાદ બીજા રંગો પૂરવા જોઈએ. જેથી કાળાં રંગની છાંટની અસર બીજા રંગો પર ન પડી શકે. જે રંગો ચીકણાં હોય તો તેને મિશ્રણથી કરકરો કરવાથી ચપટી વડે રંગ સારી રીતે પૂરી શકાય તેવો બની શકે છે.

પાણીની ઉપર રંગોળી આલેખન માટે સ્વચ્છ વાસણમાં પાણી ભરી પાણીને સ્થિર બનાવી, તેનાં પર કોલસાની ભૂકી, શંખજીરૂં કે લાકડાંનાં છોલનો છંટકાવ કરી સપાટી બાંધી, શંખજીરાનાં રંગથી આકૃતિ આલેખી શકાય છે.

પાણીની અંદર રંગોળીનાં આલેખન માટે સ્વચ્છ વાસણની સપાટી પર પહેલાં ઘી લગાડી તેનાં પર રંગોળી બનાવી તેને સહેજ ગરમ કરીતે વાસણ ઠંડુ પડી જાય એટલે તેમાં ધીમેથી પાણી રેડી પાણી સ્થિર થયા બાદ નિરીક્ષણ કરવું જોઈએ.

વધુ આવતા અંકે………

Next Page »

Follow

Get every new post delivered to your Inbox.